અમદાવાદ12 મિનિટ પહેલા
આંતરધર્મીય પરિષદમાં ઉપસ્થિત સ્વામીની તસવીર
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે, તા 11 મે, 2022ના રોજ, BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદને સંબોધન કર્યું હતું.
મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત આ પરિષદમાં 35 દેશોમાંથી, વિવિધ ધર્મોના 90 અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદનો કેન્દ્રવર્તી વિચાર હતો – વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે સંવાદિતા અને સહિયારા મૂલ્યોનું પ્રસારણ. પરિષદમાં સૌ મહાનુભાવો વર્તુળાકાર બેઠક વ્યવસ્થામાં સમાનતા અને એકતાના સંદેશને પ્રસરાવતા ઉપસ્થિત હતા.
હિંદુ ધર્મના પ્રતિનિધિરૂપે, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના પ્રભાવક ઉદબોધન અને પ્રેરણાત્મક સંદેશને, મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, મહામહિમ ડૉ .મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ ઈસા અને અન્ય વૈશ્વિક પ્રતિનિધિઓ દ્વારા તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા. પૂ.બ્રહ્મવિહારી સ્વામીએ પોતાના વક્તવ્યમાં ઉદ્દાત મૂલ્યોને દૃઢાવતા કહ્યું, “ચાલો આપણે સૌ આ પૃથ્વી પર સ્વર્ગ ઉભું કરવા સંવાદિતા અને સહનશીલતાના મૂલ્યોથી પ્રયત્ન કરવા કટિબદ્ધ થઈએ.”
ગલ્ફ પ્રદેશમાંથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંવાદિતાના આંદોલનોને પ્રસારિત કરનાર આ આંતરધર્મીય પરિષદમાં, સાઉદી અરેબિયામાં સૌપ્રથમવાર આમંત્રિત કરાયેલા હિંદુ ધર્મના પ્રતિનિધિઓમાં, BAPS સ્વામિનારાયણ સંસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.